SBI FD સ્કીમ: SBIની 400 દિવસની FD પર બમ્પર વ્યાજ, જાણો તમામ માહિતી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરી છે. આ યોજનામાં રોકાણ કરનારાઓને સાત ટકાથી વધુના દરે વ્યાજ મળશે.
સ્ટેટ બેંક આ વિશેષ FD યોજનાનું નામ અમૃત કલશ યોજના છે. બેંકે આ FD સ્કીમ ફરી શરૂ કરી છે. અગાઉ બેંકે આ રિટેલ ટર્મ ડિપોઝિટ સ્કીમને નિશ્ચિત સમયગાળા માટે શરૂ કરી હતી અને તે 15 ફેબ્રુઆરી, 2023 થી 31 માર્ચ, 2023 સુધી રોકાણ માટે ઉપલબ્ધ હતી.
કેટલું વ્યાજ મળે છે?
SBIની વેબસાઈટ અનુસાર, બેંક 400 દિવસની વિશેષ ફિક્સ ડિપોઝીટ સ્કીમ ‘અમૃત કલશ’ પર 7.10 ટકાના દરે વ્યાજ ચૂકવશે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને આ અંતર્ગત 7.60 ટકાના દરે વ્યાજ મળશે. આ યોજના 12 એપ્રિલ 2023 થી રોકાણ માટે ફરીથી ખોલવામાં આવી છે અને આ યોજના 30 જૂન સુધી રોકાણ માટે ઉપલબ્ધ છે.

દર મહિને વ્યાજ લઈ શકે છે
અમૃત કલશ યોજનામાં રોકાણ કરનારાઓ માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ધોરણે વ્યાજ લઈ શકે છે. આ વિશેષ FD ડિપોઝિટ પર પાકતી મુદતનું વ્યાજ TDS બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે TDS વસૂલવામાં આવશે. અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
1 લાખના રોકાણ પર કેટલું વ્યાજ?
ધારો કે જો કોઈ સામાન્ય રોકાણકાર આ સ્કીમ હેઠળ રૂ. 1 લાખનું રોકાણ કરે છે, તો તેને વ્યાજ તરીકે વાર્ષિક રૂ. 8,017 મળશે. તે જ સમયે, વરિષ્ઠ નાગરિકોને વ્યાજ તરીકે 8,600 રૂપિયા મળશે. આ યોજના 400 દિવસમાં પરિપક્વ થશે. એટલે કે, તમારે આ સ્કીમ હેઠળ 400 દિવસ માટે રોકાણ કરવું પડશે. તમે અમૃત કલશ સ્પેશિયલ એફડીમાં બે કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ યોજનાના સમય પહેલા ઉપાડની જોગવાઈ છે. આ સાથે લોન લેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ઓનલાઈન રોકાણ કરી શકો છો
બેંક અનુસાર, અમૃત કલશ યોજનામાં રોકાણ કરવા માટે અલગ પ્રોડક્ટ કોડની જરૂર નથી. આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમે SBIની Yono બેંકિંગ એપનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે બ્રાન્ચમાં જઈને પણ આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
ગત નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં સતત વધારો કર્યો હતો. આ પછી દેશની બેંકોએ તેમની FD સ્કીમના વ્યાજદરમાં વધારો કર્યો હતો. FDને આકર્ષક બનાવવા માટે બેંકોએ વ્યાજ દરમાં વધારાની સાથે નવી સ્કીમ પણ શરૂ કરી હતી.